30/07/2026
નડાબેટનું સ્મૃતિચિહ્ન બનાસકાંઠાની ધાતુશિલ્પ કલાની ઓળખ બન્યું, વાવ-થરાદ વહીવટી તંત્રની મહેનતથી દિલ્હી સુધી પહોંચી સ્થાનિક કારીગરોની કલા
વાવ-થરાદ: ભાભર તાલુકાના કુવાળા ગામના પરંપરાગત ધાતુ શિલ્પકાર જયંતિભાઈ શીવરામભાઈ સુથારની અદભૂત હસ્તકલા અને સૂક્ષ્મ કારીગરીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. લાખણી તાલુકાના નાણી ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત સરકારના મંત્રીઓના હસ્તે ભેટરૂપે અર્પણ કરવામાં આવેલું નડાબેટ સીમા દર્શનનું વિશિષ્ટ સ્મૃતિચિહ્ન જયંતિભાઈ સુથારે પોતાની હાથની કારીગરીથી તૈયાર કર્યું હતું.
જયંતિભાઈ સુથારે 20 ગેજની તાંબાની પ્લેટ પર 32×26 ઈંચની સાઇઝમાં હથોડા અને ટાંકણાની મદદથી સંપૂર્ણપણે હાથથી ઉપસાવીને આ કલાત્મક સ્મૃતિચિહ્ન તૈયાર કર્યું હતું. અનેક દિવસોની મહેનત, સૂક્ષ્મ કારીગરી, ચોકસાઈ અને ધીરજના પરિણામે તૈયાર થયેલી આ કળાકૃતિમાં નડાબેટ સીમા દર્શનનું સુંદર પ્રતિબિંબ જોવા મળે છે.
ગત 31 માર્ચે નાણી ગામે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત પ્રસંગે આ સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવ્યું હતું. ભાભર તાલુકાના એક નાના ગામના પરંપરાગત કારીગર દ્વારા તૈયાર કરાયેલી આ કૃતિ વડાપ્રધાન સુધી પહોંચતાં સમગ્ર વાવ-થરાદ અને બનાસકાંઠા વિસ્તાર માટે ગૌરવની લાગણી પ્રસરી છે.
જયંતિભાઈ સુથાર છેલ્લા 36 વર્ષથી પોતાની વંશપરંપરાગત ધાતુ શિલ્પકળાને જીવંત રાખી રહ્યા છે. તેઓ ચાંદી અને તાંબાની 18થી 20 ગેજની શીટ પર હથોડી-ટાંકણાથી કોતરણી અને ઉપસાવવાની પરંપરાગત પદ્ધતિથી વિવિધ મૂર્તિઓ, પીછવાઈ, સીલિંગ, પટ્ટચિત્ર અને એન્ટિક વોલપીસ સહિતની અનેક કલાત્મક કૃતિઓ તૈયાર કરે છે.
તેમની કારીગરીથી તૈયાર કરાયેલું ચાંદીનું પીછવાઈ કોતરકામ દેવભૂમિ દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વાર પર પણ કંડારવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો અને વિદેશની અનેક સંસ્થાઓ તથા મંદિરો માટે પણ તેઓ અનેક વિશિષ્ટ ધાતુ શિલ્પકૃતિઓ તૈયાર કરી ચૂક્યા છે.
સિદ્ધપુરના રુદ્રમાળ ખાતે વિક્રમ સંવત 1202થી વિશ્વકર્મા વંશના આશરે 1000 કારીગરો દ્વારા કારીગરી કરવામાં આવતી હોવાના ઐતિહાસિક વારસાને આજની પેઢી સુધી જીવંત રાખવામાં જયંતિભાઈ સુથારનું મહત્વનું યોગદાન રહ્યું છે. લુપ્ત થતી પરંપરાગત ધાતુ શિલ્પકળાને નવી ઓળખ અને પ્રોત્સાહન મળે તે માટે તેમની આ કળાને Gi teg અપાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જયંતિભાઈ સુથારે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તકલા અને પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે અમારી વંશપરંપરાગત કળાને આ રીતે સન્માન અને ઓળખ મળવી એ અમારા માટે ગૌરવની વાત છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
વિવિધ એવોર્ડથી સન્માનિત
જયંતિભાઈ સુથારને તેમની આગવી ધાતુ શિલ્પકળા બદલ કમિશનર, કુટિર ઉદ્યોગ વિભાગ, ગુજરાત રાજ્ય તરફથી ધાતુશિલ્પ એવોર્ડમાં પ્રથમ ક્રમ સહિત વિશ્વકર્મા રત્ન એવોર્ડ, ગોલ્ડન કતાર મિલિટરી એવોર્ડ અને અતુલ્ય વારસો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે કલાતીર્થ સ્મૃતિ એવોર્ડની સન્માન પ્રક્રિયા બાકી હોવાનું જણાવાયું છે.
અગાઉ પણ અનેક વિશિષ્ટ કૃતિઓ તૈયાર કરી
જયંતિભાઈ સુથાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં અપાયેલું નડાબેટ સીમા દર્શનનું સ્મૃતિચિહ્ન ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી માટે પણ કલાત્મક કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. શ્રી દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વાર પર પીછવાઈ પટ્ટનું કોતરકામ, પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અંબાજીનું ચિત્ર, સુઈગામ પ્રાંત કચેરી ખાતે નકશા આધારિત ચિત્ર તેમજ શ્રી અંબાજી મંદિરમાં અંબાજીનું કલાત્મક ચિત્ર સહિતની અનેક કૃતિઓ તેમની કારીગરીની ઓળખ બની છે.
કુવાળા ગામના આ પરંપરાગત કારીગર દ્વારા લુપ્ત થતી ધાતુ શિલ્પકળાને જીવંત રાખી તેને નવી ઓળખ અપાવવાના પ્રયાસોને સ્થાનિક સ્તરે પણ આવકાર મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટરૂપે અર્પણ કરાયેલું નડાબેટ સીમા દર્શનનું સ્મૃતિચિહ્ન હવે કુવાળા ગામની પરંપરાગત કલા, વિશ્વકર્મા કારીગરોની કુશળતા અને વાવ-થરાદ વિસ્તારની સર્જનાત્મક પ્રતિભાનું ગૌરવ વધારતું બન્યું છે.